અત્યારે મારો ખરાબ સમય ચાલે
છે!

 ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
 

રસ પડે છે
ક્યાં કોઈ પણ ચીજમાં,
ધ્યાન મારું
જ્યાં સતત તાવીજમાં,

 

વાવણી આરંભી
દીધી કઈ રીતે?
શું કશું
દેખાયું તમને બીજમાં?
 – એસ.એસ.રાહી
પાનખર માટે વૃક્ષ ક્યારેય સમયને દોષ આપતું નથી. ઓટ હોય ત્યારે
દરિયો ક્યારેય એમ કહેતો નથી કે ટાઇમ અત્યારે મારી ફેવરમાં નથી. કાળઝાળ ગરમી વખતે ધરતી
ક્યારેય ફરિયાદ કરતી નથી. છોડ પરથી ફૂલની એકાદ કળી ખરી પડે ત્યારે છોડ રોદણાં રડતું
નથી. કોયલને ટહુકવા માટે ક્યારેય નરસો સમય નડતો નથી. આપણને? જરાકેય અમથું કંઈક આપણને ગમતું ન થાય એટલે તરત જ આપણે કહીએ છીએ
કે અત્યારે મારો સમય સારો નથી. દોષનો ટોપલો ઢોળી દેવા માટે આપણી પાસે હાથવગાં બે સાધનો
છે, એક સમય અને બીજું નસીબ.

સમય સમય હોય છે. સમય ક્યારેય ખરાબ કે સારો નથી હોતો. સમય તો
જેવો હોય છે એવો જ હોય છે. આપણે આપણા સંજોગો, સ્થિતિ અને માનસિકતા મુજબ સમયના કપાળ ઉપર સારા કે ખરાબનું લેબલ લગાડી દેતા
હોય છે. જેને પોતાના ઉપર ભરોસો હોતો નથી એ જ લોકો સમયને દોષ દેતા હોય છે. જિંદગીમાં
અપ-ડાઉન્સ સ્વાભાવિક છે. દિવસ પછી રાત થાય જ છે, ભરતી પછી ઓટ
આવે જ છે, વસંત પછી પાનખર પણ આવે છે. ઘડિયાળ પણ એ જ વાત સાબિત
કરે છે કે સમય બદલતો રહેવાનો છે. આપણે ઘણી વખત જેને અંત માની લેતા હોઈએ છીએ એ કોઈ નવી
શરૂઆત હોય છે.

સુખ ક્યારેય સમયનું મોહતાજ હોતું નથી. સુખ તો સ્વભાવ અને સહજભાવને
વરેલું હોય છે. સમય ક્યારેય કોઈને કહેતો નથી કે અત્યારે તારે હસવાનું નથી. આ તારો રડવાનો
સમય છે એવુંયે સમય કહેતો નથી. સમય કહે છે, હું તો જે છું એ જ છું. હા, તું જે હોવો જોઈએ એ તું નથી.
તું તારી રીતે મારી વ્યાખ્યા કરી લે છે. મને શા માટે દોષ દે છે. તારે મજામાં રહેવું
હોય તો હું ક્યાં ના પાડું છું? તારે દુ:ખી રહેવું હોય તો પણ
તારી મરજી! તને એવું લાગે છેને કે હું સ્થિર નથી! હા, હું સ્થિર
નથી. સ્થિર તો આ દુનિયામાં છે જ શું? પૃથ્વી ફરતી રહે છે,
ગ્રહો બદલતા રહે છે, ઘડિયાળ ફરતી રહે છે,
તારીખિયાનાં પાનાં ખરતાં રહે છે, શરીરમાં પણ પરિવર્તન
થતાં રહે છે, બધું જ બદલતું હોય તો પછી હું સમય કેવી રીતે સ્થિર
રહી શકું? હા, તું ધારે તો સ્થિર રહી શકે.
તું શા માટે વિચલિત થાય છે. તું કેમ નથી સ્વીકારી શકતો કે ચડાવ-ઉતાર આવવાના જ છે.

આપણે હંમેશાં એવું જ ઇચ્છતા હોઈએ છીએ કે આપણે ધાર્યું હોય એમ
જ થાય. જિંદગી આપણા કંટ્રોલમાં હોય. હું ઇચ્છું એવું જ બધા કરે. મારી ઇચ્છાની વિરુદ્ધ
કંઈ ન થાય. એવું થતું નથી. થવાનું પણ નથી. આપણાં દુ:ખનું સૌથી મોટું કારણ એ હોય છે
કે આપણે જરાયે વિપરીત સ્થિતિને સ્વીકારી શકતા નથી. એક વખત એક બા‌ળકે એના દાદાને પૂછ્યું
કે, તમારી જિંદગીનો સમય કેવો રહ્યો? દાદાએ હસીને કહ્યું કે, બધા લોકોની જેવો જ! કોઈનો ક્યારેય
એકસરખો થોડો રહ્યો છે કે મારો સમય એકસરખો રહે! દાદાએ કહ્યું કે તને મારી જિંદગીની એક
વાત કહું. એક સમય મંદી આવી. માર્કેટ એકદમ ડાઉન થઈ ગયું. વેપાર હતો નહીં. દિવસનો મોટો
ભાગ નવરા બેસી રહેવું પડતું હતું. હું ડરી ગયો હતો. ડગી ગયો હતો. એવું લાગતું હતું
કે બધું ખતમ થઈ જશે. થોડીક શાંતિ મળે એ માટે હું એક સંત પાસે ગયો. એ સંત કાયમ પ્રસન્ન
મુદ્રામાં જ હોય. સંતને કહ્યું કે, મંદીનો ડર લાગે છે. સંતે કહ્યું
કે, ગઈ કાલે આ જંગલમાં વાવાઝોડું આવ્યું હતું. મને હતું કે મારી
ઝૂંપડી ઊડી જશે. ઝૂંપડીમાંથી કંઈ નહીં બચે. મેં વિચાર કર્યો કે ચિંતા કરવાથી તો કંઈ
થવાનું નથી. જે જવાનું છે એ જવાનું જ છે. જે મારા હાથમાં નથી એનો શોક શું કરવો?
વાવાઝોડાની રાત પસાર થઈ ગઈ. સવારે જોયું તો ઝૂંપડીનું એક છાપરું જ ઊડ્યું
હતું. મને થયું કે આટલું તો હું કરી લઈશ. મેં ઝૂંપડીની ચિંતા કર્યે રાખી હોત તો મારો
એ સમય બગડ્યો હોત. તું મંદીની ચિંતા છોડી દે. બજારની મંદી તો વહેલી મોડી બદલી જશે.
મનની મંદીનું શું? આપણા તો મનમાં પણ તેજી અને મંદી આવતી રહે છે.
ઘડીકમાં ખુશ થઈ જવાનું અને ઘડીકમાં દુ:ખી થઈ જવાનું. મનને મંદ પડવા ન દે. નુકસાન થઈ
થઈને શું થવાનું છે? ગમે તે ખતમ થઈ જાય પછીયે જિંદગી તો હોય જ
છે. જિંદગી ખતમ થઈ જાય પછી બીજું બધું હોય તો પણ શું ફરક પડે છે? પાગલખાનું એ જિંદગીથી હારેલા લોકોનું સ્થળ છે અને જેલ એ જિંદગી સામે બળવો કરનારાઓની
જગ્યા છે. સંસાર સ્થિર લોકો માટેનું સ્થળ છે. તારી પાસે એવું ઘણું છે જે ક્યારેય ખતમ
થવાનું નથી. એ છે તારી હિંમત અને તારો ઉત્સાહ. એને નબળાં પડવા ન દે. એ છે ત્યાં સુધી
કંઈ જ ખતમ થવાનું નથી.

એક માણસની વાત છે. એની પાસે કંઈ જ ન હતું. સંઘર્ષો કરી કરીને
એ સફળ થયો હતો. એક વખત તેના મિત્રએ કહ્યું કે, યાર તારી હિંમતને દાદ દેવી પડે. તારી હિંમતે જ તને સફળ બનાવ્યો છે. પેલા માણસે
કહ્યું કે એના સિવાય મારી પાસે બીજું હતું પણ શું? હિંમત જ મારું
સૌથી મોટું શસ્ત્ર હતું. સમય તો ઘણી વખત બાંયો ચડાવીને સામે આવી ગયો હતો. મેં મારી
હિંમતનું શસ્ત્ર અજમાવીને તેને હંફાવ્યો. મારી પાસે જે હિંમત હતી, એ હિંમત તો બધા પાસે હોય જ છે. તકલીફ ત્યારે થાય છે જ્યારે માણસ એ હિંમત હારી
જાય છે. તમારે જીતવું  હોય તો તમારી હિંમતને
હારવા ન દો.

સમય સામે ફરિયાદ ન કરો. સમયને ચેલેન્જ ફેંકો. સમયને કહો, મને તારો ડર નથી. તું તારી પ્રકૃતિ છોડતો નહીં, હું મારો મિજાજ ગુમાવીશ નહીં. આપણને ઘણી વખત એવું લાગતું હોય છે કે બધું ખતમ
થઈ ગયું. અલબત્ત, એ આપણો ભ્રમ હોય છે. ખતમ થાય છે એ માત્ર એક
સ્થિતિ હોય છે. અમુક સંજોગો એવા હોય છે જે બદલે છે અને થોડાક વિપરીત થાય છે. અમુક સંબંધો
એવા હોય છે જે તૂટે છે. આપણે કહીએ છીએ કે કંઈ જ કાયમી નથી. આપણે પણ કાયમી નથી. બધું
જ બદલે છે. કંઈ જ સ્થિર નથી, તો પછી આપણે એવી આશા કેમ રાખી શકીએ
કે બધું જ એકસરખું રહે. જરાક જુદી રીતે જોઈએ તો એમ પણ કહી શકાય કે બધું એકસરખું જ હોત
તો જિંદગીનો આટલો રોમાંચ હોત ખરો? રાત પડતી જ ન હોત તો?
સવાર અને સાંજ થતી જ ન હોત તો? ફૂલનું માધુર્ય
એ ધીમે ધીમે ખીલે છે એમાં જ છે. વરસાદ પછી ઝરણું જન્મે છે અને તડકામાં નદી પણ સુકાઈ
જાય છે. સુખ કાયમ રહેતું નથી તો દુ:ખ પણ પરમેનન્ટ નથી. સમયને દોષ ન દો. અમુક સંજોગો
થોડાક કપરા હોય છે, અમુક સ્થિતિ નાજુક હોય છે, એ પણ પસાર થઈ જ જવાના છે. તમારી હિંમતને ડગવા ન દો, તમારા
ઉત્સાહને ઓસરવા ન દો. જિંદગી તો સુંદર જ છે, આપણે ડગી જતા હોઈએ
છીએ, આપણે ડરી જતા હોઈએ છીએ.

છેલ્લો સીન :

જિંદગી સામે હસશો તો એ હસશે, જિંદગી સામે રડશો તો એ પોક મૂકશે. જિંદગીનું રિએક્શન અલ્ટિમેટલી આપણા એક્શનનું
જ રિફ્લેક્શન હોય છે. -કેયુ.

(“દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 06 એપ્રિલ 2016, બુધવાર, ચિંતનની પળે કોલમ)
E-mail : kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

One thought on “

Leave a Reply

%d bloggers like this: